Bapa Sitaram - Param Pujya Sant Shiromani Sadguru Dev Shree Bajrangdasbapa (Bagdana)॥ Dhayan mulam guru murti puja mulam guru padam, ॥ ॥ Mantra mulam guru vakyam moksh mulam guru krupa. ॥ ॥ Guru govind dono khade, kisko lagoo paay, ॥ ॥ bali haari guru aapki, jo govind diyo dikhay. ॥
Protected by Copyscape Online Plagiarism Tool

All about Bapa Sitaram, Bajrangdas Bapa

Translate

Madhwali Maa Ashapura History

Madhwali Maa Ashapura History

‘દેશદેવી મા આશાપુરા’

*****

આ વિડિયોમાં આપ જોઈ શકશો કચ્છના દેશદેવી ગણાતા આશાપુરા માના પ્રાગટ્યની કથા. આ કથા અહીં શબ્દોમાં જોઈએ તો આજથી દોઢેક હજાર વર્ષ પહેલા દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય(વાણિયો) તેની વણઝાર સાથે કચ્છમાં વેપાર માટે ફરતો હતો. વર્તમાનકાળમાં કચ્છમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે એ જગ્યાએ ત્યારે આ વાણિયો આવ્યો. શારદીય(અશ્વિન એટલેકે આસો મહિનાની) નવરાત્રિ હોવાથી દેવીભક્ત વાણિયો વણઝાર સાથે અહીં રોકાઈ ગયો.

દેવચંદ શાહે નવરાત્રિના આ દિવસો દરમિયાન અહીં માતાજીની અંત:કરણપૂર્વક ભક્તિ કરી. આ વૈશ્યને અન્ય કોઈ વાતની ખોટ ન હતી પરંતુ સંતાન થતુ ન હતુ. આ માટે તે સતત માતાજીની પ્રાર્થના કરતો હતો.

ભક્તોની મનોકામના પૂરી કરતી મા જગદમ્બાએ એક વખત પરોઢની વેળાએ સ્વપ્નમાં દર્શન આપીને આ વણિકને કહ્યું કે ‘જે સ્થળે નવરાત્રિ પૂજન માટે મારું આસન સ્થપ્યુ છે, એ સ્થળે તું મારું મંદિર બંધાવજે. મંદિરના દરવાજા છ મહિના માટે બંધ રાખજે. છ મહિને હું એ મંદિરમાં પ્રગટ થઈને તારી મનોકામના પૂરી કરીશ.’ આંખ ઉઘાડીને દેવચંદ શાહે જોયું તો માથા પાસે અને શય્યા પાસે એક ચૂંદડી અને નાળિયેર પડ્યાં હતાં. દેવીએ સ્વપ્નમાં આપેલા દર્શનનું આમ પ્રત્યક્ષ પ્રમાણ મળેલું લાગતા તેણે માતાજીના આ શુકનને ગદગદિત થઈને માથે અડાડ્યાં અને એ સ્થળે દેવીનું મંદિર બંધાવ્યું.

દેવચંદ શાહે છ મહિના માટે અહીં જ રોકાવાનનો નિર્ણય કર્યો. પાંચેક મહિના વીત્યે એક દિવસે સંધ્યાકાળે મંદિરમાંથી દૈવી ગાયન સાથે ઝાંઝરના ઝનકાર દેવચંદે સાંભળ્યા. કેટલીક વાર સુધી જાતજાતના તર્કવિતર્ક કર્યા પછી જગદમ્બાના દર્શન કરવાની તાલાવેલીને વશ થઈને શાહે મંદિરના દરવાજા ખોલી નાખ્યા.

દૈવી ગાયન અલોપ થઈ ગયું. ઝાંઝર સંભળાવવાના બંધ થઈ ગયા. ધડકતા ઉરયે આંખો ઉંચી કરીને જોયું તો દેવીની ભવ્ય પ્રતિમાના દર્શન થયા. દેવચંદ શેઠ ગદગદ થઈને દેવીની સ્તુતિ કરવા લાગ્યો. પછી જ તેને ભાન થયું કે દેવીએ આપેલી છ મહિનાની અવધિ પૂરી થવામાં હજુ એક મહિનાની વાર છે ને મેં આ મંદિરના દરવાજા ખોલી નાખીને ભૂલ કરી. દેવચંદ શેઠ જોગમાયાના ચરણોમાં પડ્યા અને ભૂલની માફી માંગવા લાગ્યા.

દયાળુ દેવીએ ક્ષમા આપીને દેવચંદને કહ્યું કે તારી ઉતાવળના કારણે મારા આ સ્વરૂપનાં ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું. પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. દેવીએ વરદાન માંગવા કહ્યું. દેવચંદ શેઠે બાળકનું વરદાન માંગ્યુ. દેવીએ તથાસ્તુ કહ્યું.

દેવચંદ શાહને પછી તો પુત્રની પ્રાપ્તિ થઈ. દેવચંદ શાહના વંશજો માહેશ્વરી વાણિયા તરીકે ઓળખાય છે. માહેશ્વરી વાણિયાના કેટલાક કુટુંબો આજે જૈન દર્શનને અનુસરે છે. તેમ છતા તેઓ મા આશાપુરાને કુળદેવી માને છે. માહેશ્વરી વાણિયા મારવાડમાંથી આવીને કચ્છ વસ્યા છે અને કચ્છમાંથી બહાર આવીને સદીઓ પહેલા વસનાર લોકો પૈકીના તેઓ પણ છે.

*****

મા આશાપુરાનું મંદિર કચ્છના પશ્ચિમ વિસ્તારમાં લખપત-અબડાસા-નખત્રાણા એ ત્રણ તાલુકાના ત્રિબેટે, ભુજથી ૯૩ કિલોમીટર ભુજ-લખપતના સ્ટેટ હાઈવે પર આવેલું છે. ચારેય તરફ નાના નાના પર્વતો-ટેકરીઓ અને જંગલો વડે ઘેરાયેલી ખીણમાં માતાજીનું પૂર્વભિમુખ મંદિર આવેલું છે. મનુષ્યના કદ કરતાંય ઉંચી મૂર્તિમાં આશાપુર માતાજીનું સ્વરૂપ છે. ઉપર કથામાં જોયું કે તેમના ચરણનું પ્રાગટ્ય થયું ન હતુ તેથી આશાપુરા માતાની કલ્પના ગોઠણ સુધી થઈ શકે છે.

*****

આશાપુરા માતા કચ્છના દેશદેવી કહેવાય છે. કચ્છ રાજ્ય આશાપુરા માતાજીનું છે અને કચ્છનો રાજા તો માત્ર માતાજીનું રાજ્ય ચલાવવાનું કામ કરે છે એવી માન્યતા કચ્છમાં રાજાશાહી શાસનના સમયમાં હતી. આ વિશે અને આશાપુરા મંદિર વિશે વધુ વિગત આ જ પેજ પર હવે પછી પ્રસિદ્ધ કરાશે.જોતા રહો.

*****
THIS PAGE FROM -> www.maaashapura.com
Shree Ashapura Mandir - Jasdan

-Maheshbhai Mesvaniya

9925289562

0 Feedback:

Post a Comment